ન્યાયાધીશ અને માસ્તર
મારા એક...
નહીં મારો એક મિત્ર સંજય રાવલ.
અમદાવાદનો ચાણક્ય. કારણ ચાણક્ય પ્રાથમિક શાળામાં ફરજ બજાવે. ફેઇસ બુકમાં હું એમનો ફોલો કરું છું. જ્યારે એ લખે, સરસ જ લખે. ઘણી વખત એવું થાય કે આ વિગત હું મારા બ્લોગમાં લખું. થાય એવું કે બેઠું લખવું મને ન ગમે. કારણ બ્લોગ મારો છે. આ વખતે સંજય રાવલે એવું લખ્યું કે મને સીધું જ અહીં મૂકવાનું મન થયું. આ કારણે સંજયભાઈ ને મેસેજ કર્યો. એમણે મને લખવા સૂચના આપી. એમની વિગત અહીં હું આપને માટે લખું છું.
હવે સંજયભાઈ રાવલની વાત...
એક દિવસની વાત છે.
સંજય રાવલને કોર્ટમાં જવાનું થયું.
બીજા એક જિલ્લામાં જવાનું થયું. જીલ્લો દૂરનો હતો. આ જિલ્લાની સેશન્સ કોર્ટમાં મારે હજાર રહેવાનું થયું.
એમની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી માટે ત્યાં જવાનું હતું. એના જન્મતારીખના પુરાવા તરીકે વય પત્રક લઈ હાજર રહેવાનું થયું. કોર્ટ અને વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કેટલાક કારણોસર એમણે કર્યો નથી. આતો માસ્તર. સમય સર પહોંચી ગયા. તે કોર્ટની અંદર પ્રવેશ્યા. ન્યાયાધીશ સાહેબની સામે જઈ ઊભો રહ્યા. એમને જોઈ ન્યાયાધીશે પૂછ્યું, "તમે?" મેં કહ્યું, "નમસ્તે સર, હું શાળાનો પ્રિન્સિપાલ છું. આજે અહીં વય પત્રક લઈ હાજર થયો છું."
ન્યાયાધીશ સાહેબે બંને પક્ષના વકીલો તરફ જોઈ થોડી કડવાશ સાથે કહ્યું, "આ કેસમાં ઉંમરનો કોઈ ઇસ્યુ છે?" બંને વકીલે ના પાડી. ન્યાયાધીશ સાહેબ કહે " જો નથી, તો શાળાના આચાર્યને આપણે શું કામ બોલાવીએ છીએ?" આ માસ્તર સામે જોઇને કહે:" એમનો સમય કેટલો કિંમતી છે, એમનો સમય બગાડવો કેટલો યોગ્ય છે?"
પછી સામે જોઇને બોલ્યા," સાહેબ, તમારી કોઈ પૂછપરછ કરવાની નથી. આપ બે મિનિટ બેસો." હું થોડી વાત બાજુમાં ઊભો હતો. થોડા સમય પછી સાહેબે બાજુમાં બેઠેલ ટાઇપ કરતાં બહેનને કહ્યું, " તમે સાહેબની સાથે જાવ અને એમને હાજરીનું પ્રમાણપત્ર આપી નીચે સુધી મૂકીને આવો." આવી રીતે બેનને મારી સાથે જવા, અને દરવાજા સુધી મૂકવા માટે સૂચના આપ્યા પછી મને કહે: "આપ જાઓ સાહેબ."
સંજય રાવલે સાહેબનો આભાર વ્યક્ત કર્યો અને બહાર નીકળ્યા. કેસની આગળની કાર્યવાહી ચાલુ રહી. પેલાં બહેન મારી સાથે આવ્યાં. સાહેબની સૂચના અનુસાર બેને મને પ્રમાણપત્ર આપ્યું.
ઉપરની ઘટનામાં મારે એટલું જ કહેવું છે કે શિક્ષકોના સમયની ચિંતા કરી તેમને માત્ર મિનિટોમાં મુક્ત કરી દેવામાં આવ્યા. કેટલીક વખત નાના કદના અધિકારીની ઓફિસની બહાર નાના કામ માટે પણ બે કલાક રાહ જોઈ બેસવું પડે છે.
જિલ્લાની કોર્ટના માનનીય ન્યાયાધીશ સાહેબે માસ્તર ને દરેક વખતે 'સાહેબ ' કહીને જ સંબોધન કર્યું. વધુ ગ્રેડ પે લેતા સાહેબો કેટલીક વખત શિક્ષકને તો કંઈ સમજતા જ નથી!
કોર્ટ રૂમની અંદર વિતાવેલી કેટલીક મિનિટ માટે સંજય રાવલ કહે છે. ' મને દરેક સેકન્ડે એક શિક્ષક તરીકે માનથી જોવામાં આવ્યો અને એટલું જ આદરપૂર્વક વર્તન સૌએ કર્યું.'
આ તેમને મળેલું વ્યક્તિગત માન નથી પરંતુ તેમના વ્યવસાયનું સન્માન હોવાનું સંજય રાવલ જણાવે છે. ગુરુજી માટેનું આવું સન્માન ધીમે ધીમે સમાજમાંથી લુપ્ત થઈ રહ્યું છે. કદાચ આ સન્માન શિક્ષકને ફરી પાછું મળે તો એ વધુ જવાબદાર બનશે. મનમાં એવો પણ વિચાર આવે છે કે, કદાચ આ સાહેબને પણ કોઈ ઉત્તમ શિક્ષકે જ ભણાવ્યા હશે. તેમનામાં આ અહોભાવ શિક્ષકો માટે કદાચ એટલે જ હશે.આ સાચે જ એક સુખદ અનુભવ છે અને સમાજ માટે પણ દિશાસૂચક છે.
Comments