ગમતી નિશાળ:અનોખી શાળા.
સવારે આઠ થી સાંજે આઠ સુધી ચાલતી શાળા એટલે ગમતી નિશાળ.
સમગ્ર દેશમાં આજે શિક્ષક દિન ઉજવવામાં આવી રહ્યો છે. સર્વપલ્લી રાધાકૃષ્ણન ની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે આજના દિન નિમિત્તે એવા શિક્ષકોની વાત કરવી છે જેમણે એક નવતર આયોજન કર્યું છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શહેર પાલનપુર ખાતે ગયા વર્ષે ગમતી નિશાળની સ્થાપના કરવામાં આવી. અહી બાળકો માટે કોઈ પુસ્તકો કે શાળાનો કોઈ નિયત ગણવેશ નથી. આવી અનોખી શાળા માટે એના સંચાલનમાં શિક્ષકો જ જોડાયેલ છે.
કેવી છે આ શાળા.
આ શાળાને વૈદિક પરંપરા મુજબ નિર્માણ કરવામાં આવી છે. વાંસ અને માટીના ચણતરથી શાળાનું બાંધકામ કરવામાં આવ્યું છે. શાળામાં આવનાર બાળકો વૈદિક પરંપરા થકી શૈક્ષણિક દિવસની શરૂઆત કરે છે. બેસવાની જગ્યા એ ગાયના છાણ થી લીપણ કરવામાં આવ્યું છે. રોજ સૂર્ય પૂજા અને મંત્રોચાર વડે દિવસની શરૂઆત થાય છે.
પુસ્તક વગર બાળકો કેવી રીતે ભણે છે.
શાળા હોય એટલે પુસ્તકો હોય. પરંતુ આ શાળામાં પુસ્તક વગર બાળકોને શીખવવામાં આવે છે. અહી બાળકોને શીખવવા માટે દૈનિક પત્રો અને અન્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બાળકો જીવાતા જીવનમાં કૌશલ્યો કેળવી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સપ્તરંગી આધારિત પ્રવૃત્તિ થકી જીવન ઘડતર કરવામાં આવે છે.
કઈ રીતે બાળકો કેળવાય છે.
અહીં દરેક બાળકની પ્રોફાઈલ બનાવવામાં આવેલ છે. રોજબરોજ બાળક દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અહીં નોંધવામાં આવે છે. બાળકોના વિકાસ માટે અહીં વાલીઓને નિયમિત અપડેટ આપવામાં આવે છે. એક વખત શાળામાં પ્રવેશ મેળવનાર બાળક પાસેથી પાછળથી કોઈ પ્રકારની નાણાકીય સહાય લેવામાં આવતી નથી. બાળકો માટે નિયત કરેલ સમયમાં નહિ પરંતુ સવારે આઠ વાગ્યાથી સાંજે આઠ વાગ્યા સુધી આ શાળા ચાલતી હોય છે.
કેવા બાળકો અહીં અભ્યાસ માટે આવે છે.?
સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા ડોકટર,ઇજનેર,વકીલ કે વ્યવસાય માં જોડાયેલ માતા પિતાના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે. ગરીબ અં મજૂરી કરી જીવન નિર્વાહ કરનાર પરિવારના બાળકો કે અનાથ આશ્રમના બાળકો પણ અહીં અભ્યાસ માટે આવે છે. આસપાસના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ અહીં વિશેષ કોચિંગ મેળવી રહ્યા છે. નવતર રીતે ચાલતા આ સંકુલમાં અત્યાર સુધીમાં ચાલીસ કરતાં વધારે બાળકો જોડાયેલ છે.પ્લાસ્ટિક વીણતાં અને મજૂરી જતાં બાળકો પોતાના સમય મુજબ અહીં આવે છે આવાં પચાસ બાળકો પણ આ સંકુલમાં અભ્યાસ માટે આવે છે.
આ સંકુલમાં કોણ કોણ જોડાયું છે
મારા સહયોગી તથા ભાષાના સંશોધક,નવ સર્જક અને અને વિચારક એવા ડૉ.જીગર એ. જોષી તથા જીગર જે. જોષી આ સંકુલમાં સક્રિય રહી તેના વિકાસ માટે કાર્યરત છે.
ક્યાં ક્યાં ચાલે છે ગમતી નિશાળ.
અત્યારે પાલનપુર,ડીસા અને પાટણમાં આ સંકુલ કાર્યરત છે.
અત્યારે અમીરગઢ,હિંમતનગર,મોડાસા,મોરબી અને મહેસાણામાં આ સંકુલનું નવ નિર્માણ થઇ રહ્યું છે.જે આવતા શૈક્ષણિક સત્રથી કાર્યરત થશે.
Comments
ખરેખર તો હવે જ સરકાર નો અભિગમ સાર્થક થશે...ભાર વિનાનું ભણતર......
આપના આ અભિયાન થકી સરકાર ને કૈક શીખવા મળે એવી.......