વાહનના ટાયર કાળા ન હોય તો?



આપણી આસપાસ અનેક એવા મુદ્દાઓ છે જે અંગે આપણી પાસે જાણકરી હોતી નથી. આમ છતાં આપણે એવી બાબતો અંગે ક્યારેય વિચાર કરતા હોતા નથી. આપણી આદત એવી છે કે જે બાબતનો કોઈ અર્થ ન હોય કે કશું મહત્વ ન હોય તેવી બાબતોમાં આપણે વધારે પડતી ચકાસણી કરી આપણાં સમયને અને શક્તિને વેડફીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોરોના સમયથી કેમ દાઢી વધારી છે એ અંગે ચર્ચા કરનાર અને તેમાં રસ ધરાવનાર અનેક લોકો  પ્રદુષણ કે કોરોના જેવા સીધા અસર કરતા મુદ્દાઓ માટે ચર્ચા લરવામાં જરાય રસ ધરાવતા નથી. હશે... આધુનિક સમયમાં  સૌ માહિતી માટે હવે ગૂગલ સાથે જોડાઈ રહયા છે. આમ છતાં કેટલીક બાબતો એવી હોય છે કે તે અંગે સીધું ગૂગલ જવાબ આપી શકતું નથી. આવી કેટલીક બાબતો પૈકી એક બાબત એવી છે જે આપણે વર્ષોથી જોઈએ છીએ પણ એવું કેમ છે એ અંગે ક્યારેય વિચારતા નથી. આ બાબતને સમજવા આજે એક એવીજ વિગત અંગે ચર્ચા કરીશું. આપણે અનેક વાહનો જોયા છે. કેટલાક વાહનોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. આ બધા જ વાહનોમાં એક વાત સામાન્ય છે. મજાકમાં કહી શકાય કે દરેક વાહન ને ટાયર હોય છે. પણ બીજી વાત એ છે કે દરેક કારના અથવા વાહનો ના ટાયર કાળા જ હોય છે. આપણે કેટલાક એવા વાહન જોયા છે જેમાં આવા ખાસ વાહનોના ટાયર કાળા રંગના હોતા નથી.જેમાં ખાસ કરીને નાના બાળકોની સાયકલના ટાયર સફેદ, લાલ, પીળા અથવા અન્ય રંગના હોય છે. આ જ ટાયર બનાવતી કંપનીઓ બાળકોની સાયકલ કે રમકડાં ને બાદ કરતાં વાહન માટેના ટાયર ક્યારેય સફેદ, પીળો, વાદળી, લીલો, ગુલાબી કે અન્ય કોઈ પણ રંગનાં ટાયર બનાવતી નથી. કદાચ આ સવાલ મગજમાં પણ કોઈક વાર આવ્યો હશે. આ અંગે આજે આપણે વાત કરી રહયા છીએ.

આપણાં દેશમાં જ નહીં, વિદેશમાં પણ વાહનના ટાયર કાળા રંગના જ હોય છે.આવું હોવા પાછળ એક રહસ્ય છુપાયેલું છે. તમામ ટાયર બનાવતી કંપનીઓ ટાયરનો રંગ કાળો જ રાખે છે. આ બાબતને અને ટાયરનો રંગ અંગે આપણે વૈજ્ઞાનિક રીતે માહિતી સમજીએ.

 આપણે જાણીએ છીએ કે ટાયર રબરથી બને છે. કુદરતી રીતે વનસ્પતિમાંથી રબર મળે છે. આ રબરનો કુદરતી રંગ ભૂખરો હોય છે. રબરનો કુદરતી રંગ ભૂખરો હોવા છતાં ટાયરને કાળું બનાવવા પાછળ ખાસ વૈજ્ઞાનિક અભિગમ કારણભૂત છે. ખરેખર, ટાયર બનાવતી વખતે રબરનો રંગ બદલાઈ જાય છે. તે વખતે ટાયર બનાવવાની પ્રક્રિયા દરમિયાન તેનો રંગ ભૂખરમાંથી કાળો થઈ જાય છે. ટાયર બનતી વખતેની આ પ્રક્રિયાને વલ્કેનાઇઝેશન કહેવામાં આવે છે. સાથોસાથ બીજી બાબત એ છે કે ટાયર બનાવતી વખતે બ્લેક કાર્બન રબરમાં ઉમેરવામાં આવે છે. બ્લેક કાર્બન ઉમેરવાથી  રબર સામાન્ય પરિસ્થિતિમાં વળી જાય એવું બનતું નથી. જો સાદા રબરનું ટાયર 10 હજાર કિલોમીટર દોડી શકે એવું હોય તો કાર્બન ઉમેરીને બનાવેલ ટાયર એક લાખ કિલોમીટર કરતાં વધારે ચાલી શકે છે. જો કાર્બન ન હોય તો રબર  ટૂંક સમયમાં બહાર નીકળી જાય છે.કાર્બન સાથે રબર લાંબા સમય સુધી ચાલી શકે. આ કારણે તેમાં કાળા કાર્બન સાથે સલ્ફર પણ ઉમેરવામાં આવે છે. આ બંને ને ઉમેરવાથી ટાયર લાંબા સમય સુધી ચાલે છે.

અહીં એક વાત એ પણ જાણવી જરૂરી છે કે બ્લેક કાર્બનમાં પણ કેટલીક વિવિધતા હોય છે. કયા ગ્રેડનો કાર્બન ઉમેરવામાં આવે છે જેને આધારે રબર નરમ અથવા સખત હશે. નરમ રબરના ટાયરની મજબૂત પકડ હોય છે, જ્યારે સખત ટાયરની પકડમાં એવું હોતું નથી.

ટાયર બનાવતી વખતે તેમાં સલ્ફર પણ ઉમેરવામાં આવે છે અને કાર્બન બ્લેકને કારણે તે અલ્ટ્રા વાયોલેટ કિરણોને પણ ટાળે છે. જો તમે ટાયર સળગાવો ત્યારે તમે જોયું હશે કે તેમાંથી ધુમાડો ખૂબ જ કાળો આવે છે. આનું કારણ બ્લેક કાર્બન અને સલ્ફર છે. આ બધાં કારણો ને લીધે વાહનો માટે બનતા ટાયર કાળા રંગના જ બનાવવામાં આવે છે.


બોક્ષ:

ટાયર કાળા રંગના હોય છે. નાના બાળકોની સાયકલ કે રમકડાંના ટાયર વિવિધ રંગના જોવા મળે છે. આખી દુનિયામાં  દરેક દેશમાં વાહનના ટાયર કાળા હોય છે. આવું કેમ હોય છે તે અંગે જાણવું જરૂરી છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી