એક વિચાર....નેક વિચાર...બાળકો માટે...વિકાસ માટે...




એક સારો શિક્ષક.એક સંશોધક અને પ્રેરક હોય છે.બાળકોમાં ભિન્નતા હોય છે.આ નોખા બાલદેવો માટે એક જ પ્રક્રિયા શક્ય નથી.આ માટે નવતર પ્રયોગો કરવાજ પડે.આવા નવતર પ્રયોગો થકી જ શિક્ષણ પ્રક્રિયા રસપ્રદ અને બાળભોગ્ય બને છે.
શિક્ષણ દરમિયાન જ્યાં સમસ્યા છે,ત્યાં નાવાચાર માટે અવકાશ છે.સંભાવનાઓ છે.સગવડના અભાવે,પડકાર ધરાવતી સુવિધા વચ્ચે કામ કરી પરિણામ પ્રાપ્ત કરવું તે પ્રક્રિયા એટલે નાવાચાર.આઇઆઇએમ, અમદાવાદ અને ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી) ધ્વારા નવતર  શિક્ષકોની શોધનું કામ ચાલુ છે.આ પ્રક્રિયાને બહોળો પ્રતિસાદ પણ મળ્યો છે.
ગુજરાતના અને દેશના ખૂણે ખૂણે બેઠેલા અને ધૂણી ધખાવીને કામ કરતાં અનેક શિક્ષકોને અહીં સમાવવામાં આવ્યાં છે.કન્યા કેળવણી,ગણિત,વિજ્ઞાન અને ટેકનોલોજી ઉપરાંત શાળા અને સમાજને સાથે જોડાવાના અને તેના માધ્યમથી ગુણવત્તાલક્ષી કામ કરનાર અનેક છે. અનેક પરિણામ લક્ષી સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર શિક્ષકોની વિગતોનો અહીં સમાવેશ કરવામાં આવેલ છે.મહારાષ્ટ્રમાં ‘સ્ટેટ ઇનોવેશન અને રીસર્ચ ફાઉન્ડેશન પણ આ કાર્યમાં મહારાષ્ટ્રના શિક્ષકોને શોધવાનું કામ કરે છે.તેઓને આવા નવતર શિક્ષકો શોધવામાં સફળતા મળી છે.
પોતાની ફરજ અને કાર્ય પ્રત્યે સભાન અને જાગૃત શિક્ષકો અને શાળા પરિવાર સાથે જોડાયેલ આવા અનેકોએ સિદ્ધ કર્યું છે કે શિક્ષણ માત્ર વર્ગખંડમા જ નહિ વર્ગની બહાર કે અન્ય રીતે શક્ય છે.આવા નવતર શિક્ષકોને શોધવા માટે આઈ.આઈ.એમ અમદાવાદ ધ્વારા એક પસંદગી સમિતિની રચના કરવામાં આવી.આ પસંદગી સમિતિના સભ્યો ધ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણમાં અને દેશના ખૂણે ખૂણે બેઠેલા શિક્ષકોને શોધવાના કામની ચોક્કસ દિશા પકડાઈ.એક ગતી પ્રાપ્ત થઇ.ગુજરાતમાં મા.શિક્ષણ મંત્રી શ્રી અને સચિવ શ્રી ની પ્રેરક ઉપસ્થિતિમા ગુજરાતના પસંદ થયેલ એકસો બે શિક્ષકોની કોન્ફરન્સનું પણ ગત વર્ષે આયોજન કરવામાં આવ્યું હતું. 
નવાચાર પસંદ કરનાર કોર ટીમના કો.ઓર્ડીનેટર અને પ્રોજેક્ટના ચેરમેન તરીકે મને આપવામાં આવેલી જવાબદારી નિભાવવા પ્રયત્ન કરું છું.નવતર અભિગમ અને કાર્યપ્રલાણીને આધારે શિક્ષકોણી પસંદગીની તબક્કાવાર અને ચીવટ સાથેની પ્રક્રિયામા જોડાવું મારા માટે એક ગૌરવની વાત છે.અહીં જોડાવવાનો અને કામ કરવાનો આ અનોખો અનુભવ છે. અનેક શિક્ષકોએ સામાન્ય લાગતી પ્રક્રિયાને જ નવી રીતે રજૂ કરી અને ચોક્કસ પરિણામ પ્રાપ્ત કર્યા છે.સામાન્ય ફેરફાર કરી એક વિચારને નાવાચાર તરીકે નોધાવી શક્યા.દરેક ઇનોવેશન ને મુલવવા માટે પચાસ ધારદાર વિચારો કે મુદ્દાઓ અને તેણે આધારે ગુણાંકન કરી પસંદગીની પ્રક્રિયા તરફ આપણે આગળ વધી  રહ્યાની આપણે જાણ કરતાં હું સંતોષ અનુભવું છું.
બાળકો ઈતર વાચન કરતાં થાય તે માટે અનેક સામગ્રી શાળામાં ઉપલબ્ધ હોય છે.તેનો  ઉપયોગ કરવાની એક ખાસ પ્રક્રિયાને અમલી બનાવવાનું શરું કર્યું.અને રાજ્યમાં એક નવતર વિચારક્રાંતિ,વાચન ક્રાંતિની  શરૂઆત તરફ એક ડગલું આગળ વધી શકાયું છે..
ક્યાંક અંતરિયાળ વિસ્તારમાં પણ બાળકો કોમ્પ્યુટર વિષે જાણકારી મેળવી  તેનું મહત્વ સમજે તે માટે શું કરી શકાય? આવા વિચારનો જવાબ પણ એક નવતર પ્રયોગ થકી થયેલ જોવા મળ્યો.નજીવા ખર્ચે એક કોમ્પ્યુટરવાનના નવતર પ્રયોગથી એક આખા વિસ્તારમાં બાળકો સહજ રીતે કોમ્પ્યુટર શીખી શક્યા.આ શીખેલી વિગતોનો શિક્ષણમાં પણ ઉપયોગ કરતાં થયા.
અમે જોયું છે કે ગણિત જેવા ચોક્કસ માળખાથી શીખવવાના હેતુ માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિણી મદદથી શીખવવું કેટલું સહજ અને સરળ બન્યું તે જાની શકાયું છે.એક વિષયને રસપ્રદ રીતે શીખવવાનું શરું કરવાથી અન્ય વિષયો અને શાળામાં પણ કેવું સામૂહિક કાર્ય થઇ શક્યું તેની વિગતો મળી.શહેરી વિસ્તારની નગરપાલિકા ધ્વારા કાર્યરત કન્યાઓ માટેની શાળામાં નવતર અભિગમથી શીખવવાના લીધે ચોક્કસ પરિણામ મળી શકે તેવું પણ જાણી શકાયું.
શીખવા શીખવવાને બદલે સમજ સાથે અનુબંધ કેળવાય અને શાળાનો વિકાસ થાય તેવા પણ અનેક નવતર અભિગમ જોવા મળ્યા.એક ભૂતપૂર્વ વિદ્યાર્થી પોતાની શાળાને કઈ રીતે મદદરૂપ થઇ શકે અને તેમાંથી કેવું નવતર અને ચોક્કસ પરિણામ મળી શક્યું તે પણ જોઈ શકાયું.
રાજ્યના તમામ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના જીલ્લા ઇનોવેશન સેલથકી વિવિધ જીલ્લાઓમાંથી નવતર અને અભિનવ કામ કરતાં શિક્ષકો સુધી પહોંચી શકાયું.રાજ્યની પસંદગી માટેની આ સમિતિમાં જીસીઇઆરટી તરફથી પણ બે સભ્યો જોડાયા છે. તેમણે પણ નોડલ એજન્સીનાં સભ્ય તરીકે ક્યાંક આવા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા જવાબદારી નિભાવી છે.તેમણે અને અન્ય જિલ્લાઓએ પણ ઇનોવેશન લખવા અને ચર્ચા માટે કેટલીક બેઠકોનું આયોજન કર્યું છે.કેટલાંક જિલ્લાઓમાં નવતર શિક્ષકોને પસંદગી કરી આવા શિક્ષકોને આ પ્રક્રિયામાં જોડવા માટે ખાસ માર્ગદર્શન મળી રહે તેવા પ્રયત્નો ડાયટ ધ્વારા કરવામાં આવ્યાં.આવા પ્રયત્નને લીધે હજારો શિક્ષકોએ પોતાના કાર્યને આઇઆઇએમ્ સુધી પહોંચાડ્યું.અને હજુ પણ આવા શિક્ષકોની વિગતો પહોંચી રહી છે.
રાજ્યના અનેક આવા અભિનવ કાર્ય કરતાં શિક્ષકો અને તેમના કાર્યોનું મૂલ્યાંકન કરતી વખતે પસંદગી સમિતિના સભ્ય તરીકે ખૂબ જ જોવાનું, જણાવાનું અને શીખવાનું મળ્યું. અંતે સેવારત શિક્ષકોની પસંદગી.અને તેઓના કાર્યનું આ સાહિત્ય અગાઉ રજૂ થવામાં છે. આ પસંદગીની પ્રક્રિયા વખતે કેટલીક વાર સાંભળવા મળે છે કે સમૃદ્દ સમાજના નિર્માણ માટે સમૃદ્ધ નવીનીકરણ મહત્વનું બની રહે છે. શિક્ષક કાયમ શીખતો રહે છે’.આ વિધાનને નાવાચાર કરનાર શિક્ષકોએ સિદ્ધ કર્યું છે.શૈક્ષણિક નવીનીકરણ આયોગની સ્થાપના કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.આ ગૌરવ સાથે નવતર પ્રયોગ કરનાર શિક્ષકો અંગેની ટૂંકી છતાં વિસ્તૃત અને સચોટ માહિતી આપણે મળીરહે તે માટે પુસ્તિકાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
આ શિક્ષકોએ શિક્ષણની એક જ ઘરેડ,વિવિધ બંધનો અને ચોક્કસ પ્રકારની નિષ્ક્રિયતાને દૂર કરવામાં સફળતા મેળવી છે.એક નાનો વિચાર હોય કે વૈચારિક ક્રાંતિ.આ અભિનવ શિક્ષકો માટે ગૌરવ લઇ શકાય તેવું તેમનું કામ કે વિચાર છે.
હું આ શિક્ષકો વિશે એક પુસ્તક લખવાનું વિચારી રહ્યો છું.આઈ.આઈ.એમ.ધ્વારા પણ તેમના કાર્યની નોધ યોગ્ય સ્વરૂપે લેવાય તેવો પ્રયત્ન ચાલી રહ્યો છે. શિક્ષણ કાર્યમાં પડેલી મુશ્કેલી અને તેની સામે કરેલ કશુંક નવું,નવતર અને અભિનવ કાર્ય એક અનોખો માર્ગ દર્શાવે છે. શિક્ષકો અને તેમના કર્યો અનેક શિક્ષકોને પણ ઉપયોગી થશે.હજુ પણ ગુજરાતમાં એવા અનેક શિક્ષકો છે જે પોતાની રીતે જ શાળા,શિક્ષણની પ્રક્રિયા કે ચોક્કસ સમસ્યા સામે સતત કાર્ય કરતા રહે છે.અહીં રજુ થયેલ કેટલીક નવતર કાર્યની વિગતોઅન્ય શિક્ષકો માટે પણ ઉપયોગી થશે.
કહેવાય છે કે એક વિચાર પરિણામ બદલી શકે છે.કેટલીક શૈક્ષણિક સમસ્યાઓ અને તેની સામે પરિણામ લક્ષી કાર્ય અને અમલી કારણની વિગતો થકી અન્ય શિક્ષકોને પણ પોતાની સામેના પડકારો સામે કામ લેવા માટે ચોક્કસ નિદર્શન અને સફળતા સુધી પહોંચવા માટેનો દિશા નિર્દેશ મળશે તેવું સાહિત્ય તૈયાર થઇ રહ્યું છે.
આ સમયે આવા અન્ય શિક્ષકો પણ પોતાની વાત,વિચારો કે પ્રક્રિયા અમારી સાથે વહેંચે અને શિક્ષણ માટેના પરિવર્તક માર્ગમાં પોતાનું યોગદાન આપે તેવી આશારાખું છું.
નાના પ્રયત્નમાં છુપાયેલ વિશાળ સંભાવનાઓ અને સર્જનાત્મકતા.આવું કામ ગુજરાત અને તેના માધ્યમથી દેશને વિકાસાત્મક આવર્તન તરફ ધકેલી સફળતા અપાવશે.આવા અદના કાર્યમાં જોડાયેલ,પસંદગી પામેલા અને પસંદગી પામનાર અનેક નવતર કાર્ય કરનાર શિક્ષકોને આ તબક્કે શુભેચ્છા.
જય ગરવી ગુજરાત.
(લખ્યા તારીખ:૯ જુલાઈ ૨૦૧૫)


v

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી