એક અનોખો માણસ...

યાહ્યા સપાટવાલા 

તું જીંદા હૈ તો જીન્દગી કી જીત પર યકીન કર,

અગર કહી હૈ સ્વર્ગ તો ઉતારલા જમીન પર.
ગુજરાતનું એક નાનું નગર કપડવંજ.અહીં હકીમુદ્દીન અને નફીસા સપાટવાલા રહે. હકીમુદ્દીન જન્મજાત અંધ.વ્યવસાયે તે નાનું મોટું છુટક કામ કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે.આર્થિક રીતે ખૂબ જ તકલીફ ભોગવતો આ પરિવાર.જરૂર પડે ત્યારે હકીમુદ્દીનના ભાઈ તેમને આર્થિક મદદ કરે. હકીમુદ્દીન અને નફીસા સપાટવાલાના ઘરે એક પુત્રનો જન્મ થયો.ઘરમાં ખૂશી સાથે દુઃખનું વાતાવરણ બન્યું.આનંદ એ વાતનો કે હકીમુદ્દીનના ઘરે પુત્રનો જન્મ થયો.દુઃખ એ વાતનું કે આ પુત્ર જન્મજાત અંધ.
એક ઘરમાં ત્રણ વ્યક્તિ.તેમાંથી બે અંધ.વાચકોને પણ દુઃખ થાય તેવી  કુદરતની આ કરામત.અરે!કહો કે કુદરતની પરીક્ષા. દુઃખનું ઓસડ દાડા.જેમ તેમ સમય પસાર થતો  ગયો.પરિવારે કુદરતે આપેલી આ સમસ્યાને સ્વીકારી. તેની સામે જીવન જીવવાની જાણે ફરીથી  શરૂઆત કરી.આમ કરતાં કરતાં સમય પસાર થયો.
એક સમયની વાત છે.૬ ફેબ્રુઆરી ૧૯૭૦.હકીમુદ્દીન અને નાફીસબાનુના ઘરમાં બીજા પુત્રનો જન્મ થયો.આખા પરિવારમાં ફરીથી ખૂશી અને દુઃખનો માહોલ આવી  ગયો.આ બીજો પુત્ર પણ જન્મથી જ અંધ.કહેવાય છે કે કુદરત કઈ બધાને બધું જ આપે તેવું નથી.સાથે એ પણ ખરું કે કુદરત કશું લઇ લે તો બીજું આપે પણ છે.  
આ બીજો દીકરો તેનું નામ યાહ્યા રાખવામાં આવ્યું.નાનપણથી પોતાની ચપળતા અને ઝડપી સમજવાની શક્તિને લીધે યાહ્યા ને અમદાવાદ ભણવા માટે મોકલવામાં આવ્યાં.અહીંથી તેમણે શીખવાનું અને સમજવાનું શરું કર્યું. અહીં એ પણ વિચારવું રહ્યું કે એક જ ઘરમાં ત્રણ પુરૂષો અને ત્રણેય અંધ.વિચાર કરવામાં પણ આપણને કંપારી છૂટે.પણ કહેવાય છે કે જે અડગ મનથી આગળ ધપવાનું  વિચારે તેને કોઈ રોકી શકતું નથી.
અમદાવાદ ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો નોકરીની શોધ કરી.નોકરી મળી.કાયમી નોકરીતો કોણ આપે?અમદાવાદ ખાતે સેન્ટ જેવિયર્સ કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચર તરીકે જોડાયા.એક તરફ અમદાવાદ જેવા શહેરમાં નોકરી. જીવનમાં સ્થિર થવા માટે જીવન સાથીની જરૂર પણ પડેજ.આ માટેની શોધ શરું કરી.ઘરમાં ત્રણ પુરૂષો અંધ હોય તે ઘરમાં કોણ દીકરી પરણાવે? નોકરી પણ પાર્ટ ટાઈમ હતી.પણ કુદરતના ઘરે દેર છે અંધેર નથી.આજથી લગભગ બાર વર્ષ પહેલાં યાહ્યાના લગ્ન થયા.તેમના ધર્મ પત્નીનું નામ અર્વા.અહીં અર્વાબેન ને પણ અભિનંદન આપવા જરૂરી છે.તેઓ દેખાવડા અને દેખતા હતાં.આવું જાણતા હોવા છતાં જીવન સાથીના ઘરમાં બધા જ પુરૂષઅંધ. ઘરમાં ત્રણ વ્યક્તિ અંધ છે.આજે  એક દીકરી અને દીકરો એમ બે બાળકો સાથે યહ્યાનો ચાર વ્યક્તિનો આ પરિવાર વડોદરામાં રહે છે.
ફરી ભૂતકાળ યાદ કરીએ જયારે એક ઘરમાં ચાર વ્યક્તિ પૈકી ત્રણ વ્યક્તિ અંધ હતી.જયારે આજે યાહ્યા પરિવારમાં ચાર પૈકી ત્રણ વ્યક્તિ દેખે છે. કહેવાય છે કે કુદરતને ત્યાં દેર છે અંધેર નથી.ચાલુ નોકરી દરમિયાન યાહ્યા એ એમએડ ની ઉચ્ચ લાયકાત પણ હમણાં પ્રાપ્ત કરી છે.આટલે સુધીનું લખાણ માત્ર તેમના પરિચય માટે છે. હવેની વાત સૌને એક પ્રેરણા આપી જાય તેવી છે.
કેટલાંક માણસો પોતાની મુશ્કેલી લઈને ફરતા હોય છે.કાયમ રડતા કે તકલીફનું વર્ણન કરતાં ફરે છે.પણ આતો યાહ્યા. જેનો અર્થ જ થાય છે અમર.એક ચિંતકે લખ્યું છે કે જો આપે અમર થવું હોય તો ત્રણ રીતે થઇ શકાય.વૃક્ષો ઉછેરો...સંતતિ પેદા કરો કે પુસ્તક લખો.
યાહ્યા એ આ ત્રણેય કામ કર્યા છે.અરે ખૂબ જ સફળતા પૂર્વક કર્યા છે.પર્યાવરણ પ્રેમ માટે તે અનેક કામ કરે છે. કાગળનો નાનો ટુકડો પણ તે બગડતા નથી.તે કહે છે કે વૃક્ષોને કાપી ને જ કાગળ તૈયાર થાય છે.આપણે વૃક્ષ ઉછેરી ન શકીએ તો કઈ નહિ પણ તેનું નિકંદન થતું બચાવવું જરૂરી છે.હા યાહ્યા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધન માટે પણ સક્રિય છે.તેમણે એક દીકરો અને એક દીકરી છે.આ બીજો મુદ્દો પણ તેમને અમર કરવાની વાતમાં આવે છે.જયારે છેલ્લો મુદ્દો એટલે પુસ્તક લેખનનો. નાના ધોરણના બાળકો માટે લખવું કેટલું મહત્વનું છે.એ વાત પણ જાણી લઈએ કે બાળકો માટે અને તે પણ નાના ધોરણના બાળકો માટે લખવું ખૂબ કપરું છે.
જન્મથી જ આવા અનેક કામ કરનાર અને પોતાની કુદરતે આપેલી નબળાઇને હંફાવી જીવનાર યાહ્યા અનેક લેખો ધ્વારા પોતાના વિચારો રજુ કરી ચુક્યા છે.અરે!ગુજરાત રાજ્યમાં જે પુસ્તકો બાળકો ભણે છે તે પુસ્તકોમાં તે લેખક તરીકેની જવાબદારી નિભાવે છે.અરે !દેખતા લેખકો પાસે યાહ્યા ધોરણ એક અને બે ના પુસ્તાક લેખનમાં કન્વીનર તરીકેની જવાબદારી નિભાવે છે.જયારે ધોરણ ત્રણથી આઠના પુસ્તકમાં તે લેખક છે.તેમના માર્ગદર્શન નીચે ધોરણ એક અને બે ના પુસ્તકમાં લેખક તરીકે આ લેખ લખનારે કામ કર્યું છે.
 યાહ્યા જાતે કોમ્પ્યુટર ચલાવી શકે છે.આ કઈ એક જ વિશેષતા નથી.અનેક અભિનવ અને અનોખા કામ કરનાર યાહ્યા આજે ગુજરાત રાજ્ય અંધ શિક્ષક સંઘના વર્તમાન પ્રમુખ છે.લુઈ બ્રેઈલને પોતાનો આદર્શ માનનાર યાહ્યા એ એક નવો જ કીર્તિમાન ધરાવે છે.તે કહે છે કે કોઈ પણ વાતથી ગભરાયા વગર તેને  વળગી રહેવાથી સફળતા મળે જ છે.આ વાત સમજવા એક જ ઉદાહરણ પૂરતું થઇ પડશે.૪ જાન્યુઆરી એટલે લુઈ બ્રેઈલનો જન્મ દિવસ.આ દિવસે ગુજરાતની પ્રથમ એચ.ડી.ન્યુઝ ચેનલ વી ટી.વી.એ એક અંધ વ્યક્તિ પાસે સમાચાર વાચકનું કામ લેવાનો એક અભિનવ પ્રયોગ કર્યો.૪ જાન્યુંઆરી ૨૦૧૩ના રોજ તેમણે સમાચાર વાચક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી પણ સચોટ રીતે નિભાવી.અત્યાર સુધીમાં અનેક વખત તે રક્તદાન કરી ચુક્યા છે. જ્યાં ટ્રેકિંગ કરવું આપણે વિચારી પણ ન શકીએ ત્યાં તેમણે બે વખત ટ્રેકિંગ કર્યું છે.કુલુ મનાલીમાં ૧૯૯૪ અને ૨૦૦૦ ના વર્ષમાં તેમણે ૧૨૦૦૦ ફૂટ ટ્રેકિંગ કરી નવો કીર્તિમાન નોધાવ્યો છે.અમારી વાત દરમિયાન મે કહ્યું કે આપે આ રેકોર્ડની નોધ કરવા પ્રયત્ન કર્યો છે?મારો આ સવાલ સાંભળી તે કહે:’હું તો મારી મસ્તી માટે આ કામ કરું છું.હું આ કામ કરું છું તે જ મારે મન રેકોર્ડ છે.
પોતાના સંતાનોનો જન્મ દિવસ આદિવાસી વિસ્તારમાં જઈ તે ઉજવે છે.આ બાળકોને તે જરૂરિયાત મુજબ સહાય પણ કરે છે.હાલ વડોદરા ખાતે જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં ફરજ બજાવતા યાહ્યા આર્થિક જરૂરિયાત ધરાવતા બાળકોને સહાય કરે છે.દર વર્ષે આવા એક બે બાળકોને તે આ રીતે આર્થિક સહાય કરે છે.વાસુદેવ કુટુમ્બકમ અને સર્વ ધર્મ સમભાવમાં જ માનતા યાહ્યા દર વર્ષે પોતાના ઘરે ગણેશ ચતુર્થીનો ઉત્સવ પરિવાર સાથે ઉજવે છે.
બાળગીતો ગાવા અને બાળકોને મજા કરાવવી તે તેમનો એક શોખ છે.આ કામ જાણે તેમના જીવનનું અભિન્ન અંગ છે.પોતાના બધાં જ કામ જાતે કરવાની ટેવ ધરાવતા યાહ્યા ફ્રેંન્ચકટ દાઢી રાખે છે.તેઓ જાતે જ ફ્રેન્ચકટ દાઢી બનાવે છે.અહીં ફરીથી એ લખીશ કે જે કામ દેખાતા માણસો પણ કરવામાં પાછા પડે તે જ કામ કરવાના યાહ્યા શોખીન છે.જેમનું નામ યાદ રાખવું ગમે.જેમની સાથે સમય પસાર કરવો ગમે તેવા આ અનોખા માણસને...અનેકોને પ્રેરણા આપનાર સપ્તરંગના વાચકોની શુભેચ્છા.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી